માવજત

 

 



માવજત

ભારતીય બાળકોને મા-બાપનું વેલિડેશન શું કામ જોઈએ છે? શું કામ પરિવારની સહમતી વગર આગળ વધવું નરક બની જાય છે?

 

અગ્નિપથ(૨૦૧૨) ફિલ્મમાં વિજય જિંદગીભર પ્રતિશોધની જ્વાળામાં સળગતો રહ્યો. પોતાના પિતાના ખૂનનો બદલો લેવા પંદર વર્ષ સુધી અંડરવર્લ્ડમાં અવૈધ કામ કરતો રહ્યો, પંદર વર્ષ સુધી તેની માતા સાથે અબોલા રહ્યા. મા-દીકરા વચ્ચે વૈચારિક મતભેદ હતા. માતા શાંતિથી જીવવા માંગતી હતી. પતિને ખોયા બાદ દીકરાને ખોવા ન હતી માંગતી પણ વિજય બદલો લીધા વગર ન જંપયો. ખરી ટ્રેજેડી વિજયની માતાની પણ કહી શકાય. જેને ના પતિનું સુખ મળ્યું કે ના દીકરાનું. તે દીકરાનું સુખ ભોગવી શકી હોત પણ વિજય અવળા રસ્તા પર હતો અને માતાના મૂલ્યો વિરુદ્ધ વર્તી રહ્યો હતો. અંતે, જ્યારે વિજય છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો ત્યારે માતાનું મન પીગળ્યું. મરતા પહેલા વિજય તેની આઈ પાસે વેલિડેશન માંગતો રહ્યો: “આઈ, મેને ઠીક કીયાના આઈ? મેને ઠીક કીયાના...?”

આખી જિંદગી વિજય પારિવારિક સમસ્યાઓની અંતર્ગત રહ્યો અને મર્યો ત્યારે કુટુંબે સ્વીકાર કર્યો. એક કિસ્સો સમાચારમાં આવ્યો હતો: પરિવારજનોએ લગ્નની સહમતી ન આપતા પ્રેમી યુગલે સાથે આપઘાત કર્યો. મર્યા બાદ યુવક-યુવતીના પરિવારજનોએ બંનેનું સાથે પૂતળું બનાવ્યું. શું મૌત જરૂરી છે બાળકોને સ્વીકારવા માટે?

કલા(૨૦૨૨) એક દીકરીની મનોવ્યથા. પોતાની માતા તેને સ્વીકારે, પ્રેમ આપે, ગર્વથી જોવે એના માટે કલા થતાં પ્રયત્નો કરે છે પણ બચપણથી જ કલાને માતાનો સ્નેહ ન મળ્યો. કલાએ શરૂઆતથી જ પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું હતું. તે માતાની ઉમ્મીદ પર ખરી ન હતી ઉતરી. નાનપણથી ભારે માનસિક દબાણ હેઠળ તે જીવી રહી હતી. તેની માતા તેને સ્વીકારે એ માટે કલા અન્ય વ્યક્તિ સાથે ખોટું કરી બેસે છે. ખ્યાતનામ અને સફળ થયા બાદ પણ કલાની માતા તેને ધિક્કારે છે કારણ તે અયોગ્ય રીતે આગળ આવી હતી. અન્ય સાથે અન્યાય કર્યાનો દોષભાવ કલાનું માનસિક સંતુલન બદલાવા માટે જવાબદાર બને છે. કલાને માતાનું અળગાપણું અને ખોટું કર્યાનો અપરાધભાવ અંદરથી કોરી ખાય છે. તે વધુ હતાશ થઈ જાય છે અને અંતે માનસિક સંતુલન ખોઈ બેસે છે. જ્યારે કલાએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે માતાનું મન ઓગળ્યું અને દીકરીની વારે ગયા પણ ઘણું મોડુ થઈ ગયું હતું. તેની મનોદશા અસ્થિર થઈ ચૂકી હતી. માનસિક સંતુલન ખોયા બાદ પણ કોઈ વ્યક્તિ આપઘાત કરી લે તો કલ્પના કરો કઈ હદે તે નાસીપાસ થઈ હશે. કેટલું નિરર્થક અને ખોખલું જીવન લાગતું હશે. આખી જિંદગી કલા તેની માતાના વેલિડેશનની ઓછાઈ રહી. જીવન જીવવા કરતાં મૌતને ભેટવું તેને વધુ યોગ્ય લાગ્યું.

એવું નથી આવું ફિલ્મોમાં જ થાય છે, હકીકતમાં પણ લોકો અનુભવે છે. ક્યારેક લોકો પોતાને મારવા કરતાં પોતાની કળાને મારી નાખવું પસંદ કરે છે. કલા એક ટેલેંટેડ છોકરી હતી. તેની માતાએ નાનપણથી માનસિક દબાણ આપી તેને મહત્વહીન અને ડેસ્પરેટ કરી મૂકી. આગળ પણ તેની ભૂલો સુધારવાના બદલે તેને રિપ્લેસ કરવાનો પ્રયત્ન કર્યો. આ બાબતથી કલા પોતાનું અસ્તિત્વ ગુમાવી બેસી. તેનું સેલ્ફ-વર્થ બચ્યું નહીં. એક માતા માટે કેવી ટ્રેજેડી તેના બંને સંતાન જીવવાનું છોડી ગળે ફાંસો ખાવું પસંદ કરે. કલાના કેસમાં તે એકલી પડી ગઈ હતી. જો તેની પાસે મિત્રો અથવા તેને સાંભળનાર કોઈ હોત તો તેનું માનસ બદલાઈ શક્યું હોત. ઇંડિયન પેરેન્ટ્સને બાળકોને ઉછેરતા લગભગ નથી આવડતું.

રોકસ્ટાર(૨૦૧૧) ગીતકાર બનવા મથામણ કરતા જનાર્દનનું અંગત જીવન હંમેશા સમસ્યાઓથી ભરપૂર રહ્યું. તેના પરિવારે એને ઘરની બ્હાર કાઢી મૂક્યો. બે વખત તે ઘરે પાછો આવ્યો પણ પરિવારે ન સ્વીકાર્યો. પરિવારની બેરુખીથી તે પીડાયો હતો. પરિવારના અસ્વીકારના લીધે જનાર્દન અંદરથી બળતો રહ્યો. તે જાત માટે શંકાસ્પદ બની ગયો કે કોઈ મને પ્રેમ કરશે કે નહીં? દુનિયાથી તરછોડાયા બાદ જનાર્દન ખટાનાભાઈને મળ્યો. ખટાનાભાઈ જનાર્દનની જમવાની અને રહેવાની વ્યવસ્થા કરે છે. જનાર્દનનું દર્દ તેના સંગીતમાં અસર કરવા લાગ્યું. પારિવારિક સંઘર્ષના કારણે જનાર્દનની અંદરની કળા બ્હાર આવી. ત્યારે જનાર્દન જોર્ડન(રોકસ્ટાર) બન્યો. તેના સફળ થયા બાદ પણ પરિવારને મન ન થયું તેને બોલાવાનું. જ્યારે કુટુંબે પ્રેમ ના આપ્યો ત્યારે જોર્ડનની ખાસ મિત્ર હીર તેનો સ્વીકાર કરે છે અને બસ જગતમાં એક જગ્યાથી સ્વીકાર થવાના લીધે જોર્ડન પ્રેમ સંબંધ બાંધે છે એક પરણિત સ્ત્રી સાથે. ફિલ્મમાં પરિવાર વિષે વધુ બતાવ્યું નથી પણ જેટલો સ્વીકાર જોર્ડનની પ્રેમિકા અને ખટાનાભાઈએ કર્યો જો એમાંથી થોડો પણ પરિવારે કર્યો હોત તો જોર્ડનને માનસિક તાણ ન અનુભવવું પડ્યું હોત. જોર્ડનના નસીબ કે તેના જીવનમાં ખટાનાભાઈ અને હીર જેવા લોકો હતા. જેમણે એને સંભાળી લીધો. બાકી, કલા અને તેના ભાઈ જેમ મરવાનો વિચાર આવી શક્યો હોત.

તમાશા(૨૦૧૫) રોકસ્ટાર ફિલ્મના હાર્દ જેવી જ આ ફિલ્મ. વેદ તેના પિતાએ ચિંધેલા માર્ગ પર જીવી રહ્યો હતો, નોકરી કરતો હતો. જ્યાં તેનું મન ન હતું પણ તેણે પોતાને મનાવી લીધો. વેદ તેની આસપાસના લોકોનું દંભીપણું જોવે છે, રાજેશ ઓટોરિક્સાવાળો પણ વેદની જેમ દંભમાં જીવી રહ્યો હતો: “અંદર સે કુછ ઓર હી હૈ હમ, ઔર બ્હાર સે મજબૂર.” વેદને તારા નામની યુવતી મળી. તારાએ વેદની અંદર રહેલી ક્રિયાત્મક બાજુ જોઈ, તેની પ્રતિભા બ્હાર લાવવામાં મદદ કરી. કેમ કોઈ બ્હારનું વ્યક્તિ જોઈએ છે માણસને પોતાની પ્રતિભા બ્હાર લાવવા. ખટાનાભાઈ, રાજેશ ઓટોવાલા, તારા, હીર આ સૌ શું સગા થતાં હતા તે પાત્રોના?

હાલમાં પણ એવું નથી કે તમે મન ફાવે એમ જીવી શકો. બાળકોની આઝાદી વચ્ચે મા-બાપની અસ્વીકૃતિની દીવાલ ઊભી છે. સંતાન મા-બાપની ઈચ્છા વિરુદ્ધ વર્તે, કદાચ સફળ થાય તો પણ સંતાનના અંતરમાં અજંપો રહ્યા કરે. મારા મા-બાપે મને ન સ્વીકારી/સ્વીકાર્યો. જીવનમાં મેળવેલી તે દરેક સિદ્ધિ/સફળતા ત્યારે ખોખલી લાગે છે જ્યારે સંતાનને તેમાં મા-બાપની સહમતી નથી મળતી. ઘણીવાર મૃત્યુ સુધી સ્વીકૃતિ નથી મળતી. ક્યારેક બાળકો પોતાની સિદ્ધિ માટે અસ્વીકૃતિ અપનાવી લે છે અને જીવનભર અજંપામાં જીવ્યા કરે છે. બાળક તેના રસના વિષયમાં નિપુણ હોય, આવડત હોય તો જ માવતર તેને એમાં પગ મૂકવા દે છે. બાકી, બાળકની ઈચ્છા હોય તેને નવીન વિષય પર પ્રયોગ કરવો હોય તો શક્યતા ઓછી છે મા-બાપ સપોર્ટ કરે.

3 ઈડિયટ્સ(૨૦૧૦) આ ફિલ્મનો સાર જ એ હતો બાળકોને જે બનવું છે તે બનવા દો. આજે ૧૩ વર્ષ પછી પણ સમાજ એ દિશામાં વળ્યો નથી. ઘડપણમાં માવતરનું જીવન સંતાનો દ્વારા મળતી સેવા થકી નીકળે છે. ઘરની જવાબદારી અને કરિયર સેટ કરવાની ચિંતામાં સંતાનોનું જીવન નીકળે છે. બાદમાં સંતાનો પરણીને તેમના બાળકોને પણ એ જ દિશામાં ઉછેરે છે. સંતાનને ઘડપણની લાકડી બનાવે છે અને તે સંતાન આગળની પેઢી સાથે સમાન વર્તે છે. આ કાળચક્ર ફર્યા કરે છે, આપણી કૌટુંબિક વ્યવસ્થા એકબીજા પર નિર્ભર છે. જૂજ પરિવાર છે જેમાં માવતર બાળકોને આર્થિક આઝાદી આપવા સક્ષમ હોય. જે ઘરમાં આર્થિક આઝાદી નથી મળતી તે બાળકે નોકરીના અને માવતરની સેવાના અનંત ચક્રમાં ઘૂમયા કરવું પડે છે. આ જવાબદારીમાંથી ભાગી ના શકો સિવાય કે અન્ય ભાઈ અથવા બહેન હોય જેના પર તમે જવાબદારીનો ટોપલો નાખી શકતા હોવ પણ જો કોઈ ભાઈ/બહેન ના હોય અને જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો તો એ સૌથી મોટું મહાપાપ ગણાય. સમાજ તમારો બોયકોટ કરી નાખે. પરિવારમાં આબરૂ ના વધે, લગ્ન ના થાય અને સામાજિક પ્રસંગોમાં પણ તમારી ગણના ન થાય તે સંભાવિત છે.

ડામર(Dahmer)૨૦૨૨: સત્ય ઘટના આધારિત આ વેબસીરિઝમાં જેફરી ડામર નામનો સિરિયલ કીલર પુરૂષોને કાપી નાખી ઓર્ગાઝમ મેળવતો હોય છે. જેફરી પર કેસ સ્ટડી કરતાં જાણવા મળ્યું તેનું બચપણ ડિસ્ટર્બિંગ રહ્યું હતું. તેના મા-બાપ સતત લડતા હતા. જેથી જેફરી હંમેશા ઘરમાં સૂનમૂન રહેતો, તેના કોઈ મિત્રો ન બન્યા સિવાય તેના પિતા. જેફરીના પિતા તેની સાથે સમય ગુજારતા. એક દિવસ રસ્તા પરથી મરેલું કૂતરું ઉઠાવી લાવી પિતા તેમના નવ વર્ષના પુત્રને પોસ્ટમોર્ટમ કરતાં શીખવાડે છે. અહીંથી જેફરીને શરીરની અંદર કયા અવયવ હોય, આંતરિક અંગો કેવા લાગતાં હોય, તે બધુ જોવાની જિજ્ઞાસા જાગે છે અને આ જિજ્ઞાસા ઘરની અશાંત પરિસ્થિતીના કારણે વિકૃતિમાં ફેરવાઇ જાય છે. જેફરીને જેલ થયા બાદ તેના પિતાએ પુસ્તક લખ્યું: “A FATHER’S STORY” આ પુસ્તકમાં જેફરીના પિતા લિયોનેલ ડામર તેમની એક માવતર તરીકે દીકરા માટેની છાપ કેવી હતી અને અન્ય અનુસરતા હજારો પ્રતિભાવો જણાવે છે. પુત્રના મનોવિકૃતિના સ્વભાવને સમજવાના પ્રયાસમાં લિયોનેલ ડામર તેમના પુત્રના ગાંડપણમાં ફાળો આપતા દરેક સંભવિત પરિબળની પદ્ધતિસર તપાસ કરે છે. પુત્રના કૃત્ય પાછળ જવાબદાર ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને આનુવંશિક ઘટકોનું નિરીક્ષણ કરી કડીઓ શોધે છે. પુસ્તકનું લખાણ વાંચતાં તેમાં પિતાની નિરાશા સ્પષ્ટ દેખાય આવે છે. જે કોઈના પારિવારિક સંબંધ નિષ્ક્રિય થઈ ગયા હોય તેઓએ આ પુસ્તક જાણવા જેવુ છે. આ પુસ્તક એક પિતાની કબૂલાત છે કેવી રીતે તેના બાળકે એક રેખા ઓળંગી જે માનવને રાક્ષસથી અલગ કરે છે. લિયોનેલ ડામરે આ પુસ્તકમાં હિમ્મત દર્શાવી માણસે જાણવા જેવા સૌથી દુ:ખદ સત્યો રજૂ કર્યા છે. પુસ્તકમાં તેઓએ પુત્રના જીવનની હકીકત, પુત્ર સાથેના સંસ્મરણો અને દરેક સંજોગોનું નિરીક્ષણ બારીકાઈથી ટાંકયું છે. જેમાં તેઓ પોતાને પૂછે છે:”Where I went Wrong?”

આ કિસ્સામાં પિતાનું વેલિડેશન મળ્યું હતું. જેફરીની સર્વ હરકતોને અવગણી તેના પિતાએ આંધળો સપોર્ટ કર્યો હતો. ત્યાં સુધી કે ૧૭ યુવકો(કેટલાક તરુણો)ને રહેંસી નાખ્યા બાદ પણ જેફરીના પિતા તેને સજામાંથી બચાવા માંગતા હતા. તેના પિતા શરૂઆતમાં જ રોકી શક્યા હોત જ્યારે જેફરીએ જાહેર સ્થળ પર હસ્તમૈથુન કર્યું અને પોલીસ પકડી ગઈ. આવું કૃત્ય માનસિક રીતે અસ્વસ્થ હોય તે માણસ કરી શકે. ૧૪ વર્ષની ઉંમરથી જેફરી દારુ અને બીયરનો બંધાણી થઈ ગયો હતો. ગેરવર્તણૂકના કારણે તેને આર્મીની નોકરીમાંથી નિકાળી મૂકવામાં આવ્યો, કોલેજમાંથી ડિટેઇન કરવામાં આવ્યો. આવા ઘણા સંકેતો સૂચવતા હતા જેફરીને માનસિક ઉપચારની જરૂર હતી. તેના પિતા આ બધાથી વહેલા-મોડા વાકેફ હતા પણ તેઓ જેફરીને “નોર્મલ” પ્રિટેંડ કરાવતા રહ્યા. જેફરીને સારી નોકરી મળી જાય, તે નિરાંતે જીવે તેવું ઇચ્છતા હતા. તેનું ભવિષ્ય “સેટલ” કરવાનો સતત પ્રયત્ન કરતાં રહ્યા પણ બાળપણથી સારી માવજત ન કરી શક્યા.

મહાભારતમાં ભગવાન શ્રી ક્રુષ્ણ કહે છે: “તે સંતાનોની પ્રશસ્તિ સમગ્ર વિશ્વ જાણે છે, જેમના મા-બાપ સંતાનના ચરિત્રનું નિર્માણ કરે છે, નહીં કે તેમના ભવિષ્યનું પણ મોટાભાગના માતા-પિતા સંતાનોનું ભવિષ્ય નિર્માણ કરવામાં ચરિત્ર નિર્માણનું કાર્ય ભૂલી જાય છે. માતા-પિતા ઈચ્છે છે તેમનું સંતાન સુખી અને સમૃદ્ધ બને, જગતનો બધો વૈભવ ભોગવે. ખરેખર સારી ભાવના છે. જન્મના પ્રારંભથી જ સંતાનનું ભવિષ્ય નિર્મિત કરવામાં માતા-પિતા લાગી જાય છે. પરંતુ શું સમય બદલાતા દરેક મુશ્કેલીઓ અને માર્ગ બદલાઈ નથી જતાં? શું જરૂરી છે તેમણે જે તૈયારી કરાવી એ જ મુશ્કેલીઓ સંતાન અનુભવે? તો સંતાનના ભવિષ્યની ચિંતા કરવા કરતાં તેના ચરિત્રની ચિંતા કરવી શું વધારે વાજબી નથી?” આજકાલ દૂષણો વધવાનું એક કારણ આ પણ છે માવતર સંતાનોનું ચરિત્ર નિર્માણ કરવાનું ચૂકી જાય છે.

વ્યક્તિગત રીતે હું સોફ્ટ પેરેંટિંગમાં બિલિવ નથી કરતો. વખત આવવા પર બાળક સાથે કડક વલણ અપનાવવું જ પડે પણ તે હાર્ડ પેરેંટિંગમાં બાળક પર હાથ ઉગામવો કે તેને અવગણવું નથી આવતું. નાનું બાળક અન્ય માટે નાનું હોય શકે પણ પોતાના માટે તેની ધારણા “અગત્ય માણસ” જેવી હોય છે. તેનો ઓપીનિયન પોતાના માટે મેટર કરે છે અને જો માતા-પિતા પણ તેના ઓપીનયનની દરકાર લે તો બાળકને નિરર્થક હોવાનો ભાવ નહીં લાગે. ઘરમાં બાળક સેફ અને એક્સેપ્ટેડ અનુભવશે તો શક્યતા છે આગળ જઈને અંતરમુખી(introvert) નહીં બને. બાળક સમજી શકે તેવા લોજિકથી દંડ આપશો તો તે તેની ભૂલ સમજશે. ઘણા મા-બાપ તેમના બાળકને મહેમાન સામે કે જાહેરમાં ઠપકો આપતા શરમાતા હોય છે. બાદમાં ઘરે જઈને કે એકાંતમાં બાળકને ઠપકો/માર પડે. બાળક મૂંઝાઇ જાય કેમ સજા મળી? બાળકને યાદ પણ ના હોય અચાનક માર/ઠપકો કેમ પડ્યો.

બાળકોને તેમની ભૂલની સજા મળવી જ જોઈએ પણ જો એક જ ભૂલ વારંવાર થતી હોય તો એ પરિસ્થિતીને અલગ રીતે હેન્ડલ કરવી પડે. તેના વર્તન પાછળનું કારણ સમજવું પડે અને તે ચોક્કસ ભૂલ માટે પછીથી સજા નહીં પણ સતત ટકોર આપવી પડે. આખરે બાળકને યાદ રહી જશે આ ભૂલ નથી કરવાની. બાળકને વારંવાર ટકોર અને નાની-મોટી સજાથી માતા-પિતાનો સ્વભાવ ચિડિયો લાગવા લાગે પણ સમજણ આવતા તે દરેક સજા પાછળનું લોજિક સમજશે અને પોતે મૂલ્યાંકન કરશે. હા, મારા મમ્મી/પપ્પા યોગ્ય હતા. પોતે શું ભૂલ કરી છે તેનું મૂલ્યાંકન બાળક ત્યારે કરી શકશે જ્યારે મા-બાપ તેને એ વિષય પર પ્રશ્ન પૂછશે. સમજણ આપશે આ વસ્તુ ખોટી છે અને હવે તારે એનો દંડ ભોગવવો પડશે.

સુપરસ્ટોર(૨૦૧૫) નામની અમેરિકન સિરયલમાં એક કિશોરીને તેની માતા નથી પસંદ, તે તેની માતાને આઈ હેટ યુ બોલી નાખે છે પણ માતાનો નિર્ણય નથી બદલાતો. જે વસ્તુ અયોગ્ય છે, જેમાં ના પાડી પછી એ વાત પૂરી. નિર્ણય નહીં ફરે. કારણ તેની માતાનું માનવું હતું: “આ દુનિયા બહુ ખરાબ છે. જગત મારી દીકરીને કઠોર બનાવે એના પહેલા હું એને કઠોર બનાવીશ.”

મા-બાપ સારી રીતે ઉછેરે કે ધ્યાન આપ્યા વગર ઉછેરે બાળકોને તેમનું વેલિડેશન મેળવવાની ઝંખના આપમેળે રહેતી હોય છે. બધી જ નારાજગી હોવા છતાં તેમના માટેનો લગાવ મટી નહીં જાય. પરસ્પર લાગણી ભલે ના દેખાડે પણ તેનો અર્થ એ નથી કે પરસ્પર ભાવ મટી ગયો હશે. એક પૂર્વગ્રહ અનુસાર એસિયન મા-બાપ તેમના બાળકોના સપના નાબૂદ કરવાની વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે. શું નવી પેઢી આ પૂર્વગ્રહ ભૂંસી શકશે?


-કીર્તિદેવ

Comments

Popular posts from this blog

મોન્સ્ટર્સ x ગ્રીક ટ્રેજેડી (MONSTERS x GREEK TRAGEDY)

બ્લેક મિથ વુકોંગ ૨૦૨૪ ગેમ રિવ્યુ અને બૌદ્ધ ધર્મ